યુનિસેફ, રાજ્ય આરોગ્ય વિભાગ અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી મુખ્ય મથક એન.સી.સી. રાજકોટ ગ્રુપ દ્વારા પી.ડી.એમ. કોલેજ, રાજકોટ ખાતે તા. ૨૩ ફેબ્રુઆરીના રોજ એક દિવસીય એનીમિયા જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ભાગ લેનાર કેડેટ્સ માટે એનીમિયા અને રક્ત પરીક્ષણ અંગે જાગૃતિ વર્ગો પણ યોજવામાં આવ્યા હતા.
આ તકે, ગ્રુપ કમાન્ડર, રાજકોટ ગ્રુપ એન.સી.સી.ના બ્રિગેડિયર એસ. સંજયે એનીમિયા અંગે જાગૃતિ અને સમાજમાં આ સમસ્યાને ઉકેલવા માટેના મહત્વના પગલાઓ પર પ્રકાશ પાડ્યો હતો. ગ્રૂપ કમાન્ડરે ઉલ્લેખ કર્યો હતો કે એનીમિયા જાગૃતિના ક્ષેત્રમાં આ એક પાયલોટ પ્રોજેક્ટ છે અને નજીકના ભવિષ્યમાં તેને યોગ્ય રીતે અનુસરવામાં આવશે.
કાર્યક્રમમાં યુનિસેફ ટીમનું નેતૃત્વ કરતા એસ.બી.સી. નિષ્ણાંત શ્રી વિજય શંકર કંથને કેડેટ્સને સંબોધિત કરી જાગૃતિના મહત્વ પર ભાર મૂક્યો હતો. પોષણ અધિકારી શ્રીમતી સૌમ્યા દવેએ સહભાગીઓ સાથે વાર્તાલાપ કરી પોષણ વિષય પર શૈક્ષણિક પ્રવચન આપ્યું હતું. આર.એમ.સી.ના આર.સી.એચ.ઓ શ્રી લલિત વણઝાએ પણ એનીમિયા અને તેની અસરો વિશે જાગૃત રહેવાના મહત્વ પર ચર્ચા કરી હતી. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા પંચાયતના મેડિકલ સ્ટાફની ટીમ દ્વારા આશરે ૮૦૦ એન.સી.સી. કેડેટ્સનું એનીમિયા પરીક્ષણ, દવાઓનું વિતરણ અને કાઉન્સેલિંગની આવશ્યકતા ધરાવતા હોય તેમને વિશેષ માહિતી આપવામાં આવી હતી.